લોક ત્યાં ટાંપીને બેઠા હોય છે
આગ જે ચાંપીને બેઠા હોય છે
છાંય ક્યાં મળશે ? અહીં સ્નેહીજનો
વૃક્ષ સૌ કાપીને બેઠા હોય છે
સત્ય બાબત કોણ સાંભળશે તને !
સત્ય જે સ્થાપીને બેઠા હોય છે
આપવા બીજું ન’તું કોઈ કને
દુ:ખ પણ આપીને બેઠા હોય છે
તું જ નિર્ણય લે, જવું છે કઈ તરફ ?
માર્ગ આ વ્યાપીને બેઠા હોય છે
તે પછી ચિન્તા રહે ના એક પણ
જે કબર માપીને બેઠા હોય છે
- મનોહર ત્રિવેદી
No comments:
Post a Comment