Saturday, June 21, 2008

નથી ગમતું મને...


બોલવા ટાણે જ ચૂપ રહેવું નથી ગમતું મને,
પણ બધાની રૂબરૂ કહેવું નથી ગમતું મને.

એકલો ભટક્યા કરું છું, એનું કારણ એ જ છે,
ઘરની વચ્ચે એકલું રહેવું નથી ગમતું મને.

આંખમાં આવીને પાછા જાય એનું મૂલ્ય છે,
આંસુઓનું આ રીતે વહેવું નથી ગમતું મને.

આમ તો કૂદી પડું છું હું પરાઈ આગમાં,
મારું પોતાનું જ દુ:ખ સહેવું નથી ગમતું મને.

મિત્ર અથવા શત્રુઓની વાત રહેવા દે ખલીલ,
એ વિશે તો કાંઈ પણ કહેવું નથી ગમતું મને.

– ખલીલ ધનતેજવી

No comments: